Gujarat : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટના ભાગરૂપે સદી જૂના કાલુપુર-સલંગપુર રેલવે ઓવરબ્રિજનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલ્વે સ્ટેશન પુનઃવિકાસના કામો હેઠળ રૂ. 440 કરોડના ખર્ચે કાલુપુર અને સલંગપુર રેલ્વે ઓવરબ્રિજ માટે ફોર લેનિંગ સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા હિસ્સા તરીકે રૂ. 220 કરોડ ફાળવ્યા છે.
કાલુપુર-સલંગપુર રેલવે ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ જૂના કાલુપુર-સલંગપુર રેલ્વે ઓવરબ્રિજને ચાર માર્ગીય બનાવવા સહિત નવીનીકરણના કામો માટે રાજ્ય સરકારના યોગદાન તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નાણાંની ફાળવણી કરી છે. 2010માં શરૂ કરાયેલ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલવે ઓવરબ્રિજને પહોળો કરવા માટે આ રકમ મંજૂર કરવામાં આવી છે.
રેલવે ઓવરબ્રિજ 100 વર્ષથી વધુ જૂનો છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ 108 વર્ષ પહેલા 1915માં બાંધવામાં આવ્યો હતો અને સલંગપુર રેલ્વે ઓવર બ્રિજ 83 વર્ષ પહેલા 1940માં બનાવવામાં આવ્યો હતો. હાલમાં, આ કાલુપુર રેલ્વે ઓવર બ્રિજ (મનુભાઈ પરમાર બ્રિજ) બંને બાજુ ફૂટપાથ સાથે ત્રણ લેન ધરાવે છે અને સલંગપુર રેલ્વે ઓવરબ્રિજ પહોળાઈમાં બે લેન ધરાવે છે.
4 લેન પુનઃનિર્માણ
આ બ્રિજના આયુષ્ય અને સલામતીને તેમજ ટ્રાફિકના વધતા ભારને ધ્યાનમાં રાખીને રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બંને બ્રિજને તોડીને ફોર લેનનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે રાધનપુર શહેરમાં નવા ઓવરબ્રિજના નિર્માણ અને ભીલોટ રૂટ પર હાલના રેલવે ક્રોસિંગ LC-100-2E માટે રૂ. 52.83 કરોડ ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઇગામને જોડતા આ રોડ પર મંજૂર થયેલ ઓવરબ્રિજ બનાવવાથી શહેરીજનોને સુવિધા મળશે.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
CM ભૂપેન્દ્ર પટેલે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ ત્રણેય બ્રિજની કામગીરી માટે નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ મુજબ કાલુપુર રેલવે ઓવર બ્રિજ (મનુ પરમાર બ્રિજ) માટે રૂ. 106.67 કરોડ, સારંગપુર રેલવે ઓવર બ્રિજ માટે રૂ. 113.25 કરોડ અને રાધનપુર બ્રિજ માટે રૂ. 52.83 કરોડ મળીને કુલ રૂ. 272.75 કરોડ ફાળવવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી આ બંને શહેરો વચ્ચે કનેક્ટિવિટી સરળ બનશે, ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકો માટે સમય, ઊર્જા અને ઈંધણની બચત થશે.














Leave a Reply