[ad_1]
હાઈલાઈટ્સ:
- 19 વર્ષની પરિણીતા સાસરિયા અને પિયરવાળાનો ત્રાસ સહન ના થતા કંટાળી
- સાસરીમાંથી ભાગીને સિવિલ હોસ્પિટલ પહોંચી અને 11 દિવસ ત્યાં જ કાઢ્યા
- અમદાવાદમાં બનેલી ઘટનાની અભયમની ટીમને માહિતી મળતા કાર્યવાહી કરી
નાની ઉંમરમાં તેનાથી બમણી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરાવવાની ઘટના બાદ યુવતીએ સતત ત્રાસ વેઠવો પડી રહ્યો હતો. મળતી વિગતો પ્રમાણે 19 વર્ષની યુવતીની માતાનું નિધન થયા બાદ દારુડિયા પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. આવામાં પતિ અને સાસુ યુવતીને ત્રાસ આપતા હતા અને તેના સસરા તેની વારંવાર છેડતી કરતા હતા. સાસરિયાનો ત્રાસ સહન ના થતા યુવતી પોતાના પિયર પરત આવી ગઈ હતી. જોકે, યુવતીનો પિતરાઈ ભાઈ તેને માર મારીને બળજબરીપૂર્વક પરત સાસરિયામાં મૂકી આવ્યો હતો.
આ પછી પિયર અને સાસરિયાથી કંટાળેલી યુવતી લાગ આવતા સાસરીથી ભાગીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અહીં તે 11 દિવસ સુધી હોસ્પિટલની બહાર ભટકતી રહી હતી. યુવતીને જોઈને એક સજ્જન દ્વારા અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ અભયમની ટીમે સ્થળ પર પહોંચીને યુવતી સાથે વાત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે સસરાની છેડતી, પિયર અને સાસરિયાના ત્રાસના કારણે તે પાછી પિયર કે સાસરે જવા માગતી નથી.
યુવતીએ અભયમની ટીમ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેને સાસરિયામાં સસરાની છેડતી, પતિ અને સાસુનો ત્રાસ સહન ના થતા તે પોતાના પિયર ગઈ હતી, પરંતુ અહીં પણ પિતરાઈ ભાઈએ તેને માર મારીને બળજબરી પૂર્વક પિયરમાં મૂકી આવ્યો હતો. તેને સારવારની જરુર હોવા છતાં કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું નહોતું. આ પછી એક દિવસ તક મળતા તે રાત્રે ઘરેથી ભાગી ગઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં જઈને સારવાર લીધી હતી.
અહીંથી મહિલા પોલીસ સ્ટેશન પણ ગઈ હતી પરંતુ અહીં કોઈ કાર્યવાહી ના થતાં તે કંટાળીને 11 દિવસથી સિવિલ હોસ્પિટલની બહાર રહીને ત્યાં જ સૂઈ જતી હતી. અભયમની ટીમ દ્વારા તેના પિયર અને સાસરિયાનું પણ કાઉન્સિલિંગ કરાયું હતું પરંતુ યુવતીએ તેમની સાથે રહેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જે બાદ તેને નજીકના આશ્રયગૃહમાં મોકલી આપવામાં આવી હતી.
[ad_2]
Source link





