[ad_1]
હાઈલાઈટ્સ:
- વાલીઓ બાળકને સ્કૂલે મોકલવા માગે છે કે કેમ? માગવામાં આવ્યો અભિપ્રાય.
- કોરોનાના કેસ વધતાં ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓ બાદ સ્કૂલોમાં લંબાશે વેકેશન?
- શિક્ષણમંત્રીએ કહ્યું- સરકાર સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે.
રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, “હાલ અમે ઝીણવટપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હાલ અમે સ્કૂલોને સૂચના આપી છે કે, તેઓ વાલીઓને પૂછે કે ઓફલાઈન કે ઓનલાઈન કઈ પદ્ધતિથી પોતાના સંતાનને ભણાવવા માગે છે. આપણે ભૂલવું ના જોઈએ કે, હજી બાળકો માટે રસી આવી નથી.”
શિક્ષણમંત્રી વાઘાણીએ દાવો કર્યો કે, આ મુદ્દે અભિપ્રાય જાણવા માટે વાલીઓ અને શિક્ષકોના અસોસિએશનનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓનો દાવો છે કે તેઓ સતર્કતા દાખવી રહ્યા છે.
શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમે નથી ઈચ્છતાં કે વાલીઓ ભયભીત થઈ જાય. કોરોના કેસ વધી રહ્યા છે. દરમિયાન, સ્કૂલો ઓફલાઈન શિક્ષણ પર ભાર આપી રહી છે અને ધીમે-ધીમે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા ઈચ્છે છે.” અધિકારીએ એવો પણ દાવો કર્યો કે, જે સ્કૂલોમાં હાલ ક્રિસમસ અને ન્યૂ યરનું વેકેશન છે તેમનો બ્રેક બીજા પંદર દિવસ માટે લંબાઈ શકે છે. આ પાછળનું કારણ કોરોનાના વધતા કેસો છે.
આ તરફ પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એમ પણ કહ્યું હતું કે, હાલની સ્થિતિની સમીક્ષા કરાઈ રહી છે અને સરકાર વિદ્યાર્થીઓ માટે ચિંતિત છે. શાળાઓમાં એસઓપીનું પાલન કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરી રહ્યો છે. જોકે, ઓફલાઈન શિક્ષણ બંધ કરવા સરકાર તરફથી કોઈ સૂચના નથી અપાઈ. કેટલીક સ્કૂલો વાલીઓને તેમના સંતાનોને ફરજિયાત સ્કૂલે મોકલવા માટે દબાણ કરી રહી છે અથવા તો ઓનલાઈન ક્લાસ લેવાનો ઈનકાર કરે છે. ત્યારે શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે, જો શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે. અલબત્ત, બાળકોને સ્કૂલે મોકલવા કે ઓફલાઈન અભ્યાસ કરવો તે અંગે વાલીઓમાં મતમતાંતર પ્રવર્તી રહ્યો છે.
[ad_2]
Source link
Leave a Reply