[ad_1]
અમદાવાદ,૧૬ ડિસેમ્બર,૨૦૨૧,ગુરુવાર
૧૯૭૧ના યુધ્ધમાં પાકિસ્તાન એરફોર્સે ભૂજ એરસ્ટ્ીપ પર નેપામ પ્રકારના ૬૩ જેટલા બોંબ ફેંકતા ભારતના ફાઇટર પ્લેનની ઉડાણ થઇ શકે તેમ ન હતા. આ હુમલો ૮ મી ડિસેમ્બરની રાત્રે અને ૯ મી ડિસેમ્બરની સવાર સુધીમાં ચાર વાર થયો હતો. આથી ભંગાર થયેલી એર સ્ટ્રીપને કોઇ પણ ભોગે રિપેર કરવી જરુરી બની હતી. ખાસ કરીને હવાઇપટ્ટી પર એક વિશાળ ખાડો પડયો તેને પુરવો જરુરી હતો. બીએસએફના જવાનો યુદ્ધ પછી ઉભી થયેલી પરીસ્થિતિને પહોંચી વળવામાં વ્યસ્ત હતા આવા સંજોગોમાં ભૂજની બાજુમાં આવેલા માધાપર ગામની ૩૦૦ મહિલાઓની ભારતીય વાયુસેનાએ મદદ લેવાનું નકકી કર્યુ.
માધાપરની વિરાંગનાઓએ એરફોર્સની ટીમની સાથે રહીને રાત દિવસ મહેનત કરીને ૭૨ કલાકમાં હવાઇપટ્ટીનું સમારકામ કરતા ભારતની વાયુસેનાના વિમાનો ઉડાણ ભરી શકયા હતા. આજે પણ ૧૯૭૧ના યુધ્ધની વાત આવે ત્યારે માધાપરની બહાદુર મહિલાઓને અચૂક યાદ કરવામાં આવે છે. એ સમયના સ્કવોડ્રન લિડર વિજયકુમાર કાર્ણિકને આ આઇડિયા આવ્યો હતો જે અત્યંત સફળ સાબીત થયો હતો. પાકિસ્તાન ફરી હવાઇ પટ્ટી પર હુમલો કરે તો કયાં સંતાવું અને કેવી રીતે કામ કરવું તે પણ મહિલાઓને શિખવવામાં આવ્યું હતું. ઇતિહાસમાં યુધ્ધ દરમિયાન માનવ બળ અને ખાસ કરીને મહિલાઓની આવી બહાદુરીનું પ્રકરણ કયાંય લખાયું નથી. આ ઐતિહાસિક ઘટનાક્રમ પર આધારિત એક ફિલ્મ પણ બની છે.
[ad_2]
Source link
Leave a Reply